એજન્સી. નવી દિલ્હી
ગૃહમંત્રી રાજનાથ સિંહનો પુત્ર લાંચ લઈને કામ કરતો હોવાના આક્ષેપોથી ખળભળાટ મચી ગયો છે. છેલ્લા પંદરેક દિવસથી રાજકીય આલમમાં ચાલી રહેલા આ આક્ષેપ અંગે રાજનાથે હવે મૌન તોડ્યું છે. તેમણે બુધવારે કહ્યું કે જો તેમના પુત્ર પરના આરોપ સાબિત થશે તો તેઓ જાહેર જીવનમાંથી સંન્યાસ લઈ લેશે. એક અહેવાલ મુજબ એક કેન્દ્રીય મંત્રીના નજીકના સગાએ કોઈ કર્મચારીના પોસ્ટિંગ માટે લાંચ લીધી હતી. અટકળો એવી છે કે આ વ્યક્તિ રાજનાથના પુત્ર પંકજ સિંહ છે. રાજનાથ સિંહે તેમના પુત્ર પંકજ સિંહ પરના આક્ષેપો અંગે કહ્યું કે આ તમામ આક્ષેપ પાયા વગરના છે. દરમિયાન ટાઈમ્સ નાઉ ચેનલે કહ્યું છે કે આ માત્ર અફવાનો મામલો નથી. પંકજ સિંહના રાજકીય આચરણ અને બિઝનેસ ડીલ અંગે સરકાર તરફથી વાત કરવામાં આવી હતી. જોકે વડાપ્રધાન કાર્યાલયે પણ એક નિવેદન જારી કરીને આ વાતને માત્ર અફવા ગણાવી છે.
તાજેતરમાં એવી વાત વહેતી થઈ હતી કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેટલાક નેતાઓને અનેક વાર તેમનો વ્યવહાર યોગ્ય ન હોવાનું કહીને ખખડાવ્યા હતા. એક કેન્દ્રીય મંત્રીના નજીકના સગાંએ એક કર્મચારીના પોસ્ટિંગ માટે પૈસા લીધા હોવાની વાત આવી હતી. મોદીએ તેને તાત્કાલિક બોલાવીને ખખડાવી નાખ્યો હતો અને લાંચના પૈસા પાછા આપી દેવા કહ્યું હતું. અટકળો એવી છે કે આ લાંચ લેનારી વ્યક્તિ રાજનાથનો પુત્ર પંકજસિંહ જ હતો.
રાજનાથે કહ્યું કે છેલ્લાં ૧૦-૧૫ દિવસથી તેમની અને તેમના પરિવાર સામે અનેક અફવાઓ ફેલાઈ રહી છે. શરૂઆતમાં તેના પર ધ્યાન આપ્યું ન હતું પરંતુ આ અફવા આગળ વધતી જ રહી છે જેને કારણે તેમણે વડાપ્રધાન મોદી અને પક્ષના પ્રમુખ અમિત શાહને તેનાથી વાકેફ કર્યા છે. રાજનાથે કહ્યું કે વડાપ્રધાને પણ આ પ્રકારની અફવા અંગે આશ્ચર્ય વ્યક્ત કર્યું છે. તમારી સામે કોણ અફવા ફેલાવી રહ્યું છે તેવા સવાલના જવાબમાં રાજનાથે કહ્યું કે તે કામ તમારી જેવા પત્રકારોનું છે. તેમણે સ્પષ્ટતા કરી કે આ વિષયે તેમણે સંઘમાં કોઈની સાથે વાત કરી નથી.