બેજિંગ: ચીને પાકિસ્તાન હસ્તકના કાશ્મીરમાં રેલવે લાઈન બનાવવા માટે કથિત રીતે રિસર્ચ શરૂ કરી દીધું છે. આ રેલવે લાઈન પર ભારત વાંધો વ્યક્ત કરી શકે છે કારણકે, પીઓકેને ભારત પોતાનો હિસ્સો માને છે. હાલમાં જ લદ્દાખમાં ચીની સૈનિકોએ કરેલી ઘૂસણખોરી બાદ આ બીજા મોટા સમાચાર છે જે ભારતની સુરક્ષાને લઈને ચિંતા વધારી શકે ચે. અહેવાલ છે કે, ચીને આંતરરાષ્ટ્રીય રેલ લાઈનથી પોતાના સીમાવર્તી પ્રાંત શિનજિઆંગને પાકિસ્તાન સાથે જોડવા માટે સંશોધન શરૂ કરી દીધું છે. આ લાઈન પીઓકેમાંથી પસાર થશે. ચીને પોતાના પશ્ચિમી શહેર શિનજિઆંગના કાશગરથી પાકિસ્તાનના ગ્વાદાર પોર્ટને જોડનારી રેલવે લાઈનના નિર્માણના અભ્યાસ માટે ભંડોળ પણ ફાળવી દીધું છે.
ચીનના અખબાર ચાઈના ડેલીએ શિનજિઆંગના સ્થાનિક વિકાસ અને સુધાર પંચ શાંગ ચુનલિનના હવાલેથી આ સમાચાર આપ્યા છે. શિનજિઆંગની રાજધાની ચરૂમક્કીમાં સિલ્ક રોડ ઈકોનોમિક બેલ્ટ પર આયોજીત આંતરરાષ્ટ્રીય સમ્મેલનમાં ઝાંગે કહ્યું હતું કે, 1800 કિલોમીટર ચીન-પાકિસ્તાન રેલવે લાઈન પાકિસ્તાનની રાજધાની ઈસ્લામાબાદ અને કરાચીના રસ્તેથી પણ કાઢવાની યોજના છે.
પાકિસ્તાનમાં ચરમપંથીઓના હુમલાનો હવાલો આપતા તેમણે કહ્યું હતું કે, પ્રતિકૂળ માહોલ અને જટિલ ભૌગોલિક સ્થિતિને કારણે રેલવે લાઈનના નિર્માણનો ખર્ચ વધુ આવશે પરંતુ પરિયોજના માટે પહેલા જ અભ્યાસ કરાઈ ચુક્યો છે.